April 20th 2008
મને ભીડમાંથી નીકળવા તો દો
અને જાત સાથે રઝળવા તો દો
-ડો.ઍચ.એસ.રાહી
મેવાડની મીરાંને માધવની મમતા,
માધવને મથુરાના માખણની મમતા,
-દેવિકા ધ્રૂવ
માટે જ એને માટે મને પક્ષપાત છે,
ગઝલો તો પૂર્વજન્મના પુણ્યોનું વ્યાજ છે.
- મનહરલાલ ચોક્સી
‘મનહર’, હું સ્વપ્નમાંય નથી કોઈને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.
- મનહરલાલ ચોક્સી
April 2nd 2008
મેં અમસ્તી લખેલી કથાના સહુ પાત્ર સાચાં મળે છે તો હું શું કરું ?
કોના હોવાની ઘટના કહાણી હતી ? એક રાજા હતો એક રાણી હતી.
-અરવિંદ ભટ્ટ
મિલકતમાં ‘ઉરુ’ મારી પાછળ
યાદો દેતો ફોટો રહેશે.
-ઉર્વી પંચાલ ‘ઉરુ’
મોતે આપી ન કાંઈ પણ મહેતલ
જીવવાના ઘણા હતા રસ્તા
‘રસિક’ મેઘાણી
મળવાનું મન કરે અગર ઠેકીને આવજે,
ભીંતો અમારી એટલી ઊંચી ચણી નથી !
– મકરંદ મુસળે
મરણરૂપે જ મૂકાઈ ગઈ છે મર્યાદા
જીવનથી સહેજ વધારે હું વિસ્તરી ન શકું
-ભરત વિંઝુડા
માંગવાના હોંશ પણ રહેશે નહીં,
કોઈ જ્યારે આપનારું આવશે.
-સુધીર પટેલ
માનીએ કોને પરાયા આપણે ?
એક માટીથી ઘડાયા આપણે.
-રમેશ ગાંધી
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
-મનોજ ખંડેરિયા
મારી મરજી મુજબના શ્વાસ લઉં
એક પણ એવી ક્યાં જગા આપી?
- મનોજ ખંડેરિયા
મીર તણખો મૂકી ગયું કોઇ
શ્વાસ છે ત્યાં લગી પ્રજળવાનું.
-ડો. રશીદ મીર
March 29th 2008
મને આ જોઇને હસવું હજારો વાર આવે છે
પ્રભુ, તારા બનાવેલા તને આજે બનાવે છે
-હરજી લવજી દામાણી ‘ શયદા ‘
મરવાની અણી પર છું, છતાં જીવી શકું છું
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે
-અમૃત ઘાયલ
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઇ ગઇ
આંગળી જળમાંથી નીકળીને જગા પુરાઇ ગઇ
-ઓજસ પાલનપુરી
મલમની કરું શૂન્ય કોનાથી આશા ?
કે મિત્રો જ મારા જખમને ખણે છે.
‘શૂન્ય’ પાલનપૂરી
મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,
પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.
- અકબરઅલી જસદણવાલા
મિત્ર અથવા શત્રુઓની વાત રહેવા દે ખલીલ,
એ વિશે તો કાંઈ પણ કહેવું નથી ગમતું મને.
ખલીલ ધનતેજવી
માંહ્યલામાં ચાલતી કાયમી ચળવળ લખું,
દિલમાં તારા શું હશે? રેશમી અટકળ લખું.
-’ઊર્મિ’ સાગર
માપી લીધી છે મેં આ ગગન વિશાળતા,
તારી છબી હું ચીતરું એવું ફલક નથી.
– બરકત વીરાણી ‘બેફામ’”
મન ઘણી વાર અકારણ ઉદાસ પણ લાગે,
નર્યા એકાંતનો ખુદને ય ભાર પણ લાગે !
- ડૉ. રશીદ મીર
મેં તારા સંગમાં હસતા રહી ગુજાર્યા છે
હજી એ યાદ કરૂં છું ગયા દિવસને હું
-“રસિક” મેઘાણી